આમ આદમીની પત્નીની "મન કી બાત": કેજરીવાલની ધરપકડના પગલે પત્ની સુનિતા ભાવુક, કહ્યું- આ ઈમરજન્સી અને તાનાશાહી નથી તો શું છે?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26062024_120200_Sunita and Arvind Kejriwal.webp)
- 26 Jun, 2024
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ દારૂ કૌભાંડ મામલે આજે ધરપકડ કરી છે. તેને લઈને સીએમ કેજરીવાલની પત્ની સુનીતાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કેજરીવાલની ધરપકડને તાનાશાહી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે હાલ સમગ્ર સિસ્ટમ એ કોશિશમાં છે કે વ્યક્તિ જેલની બહાર જ ન જઈ શકે. આ કાયદો નથી. આ તાનાશાહી છે, ઈમરજન્સી છે.
આમ આદમી પાર્ટીએ કહ્યું કે જ્યારે કેજરીવાલને મની લોન્ડ્રિંગ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની શક્યતા હતી તો ભાજપ ગભરાઈ ગઈ અને તેણે સીબીઆઈ દ્વારા કેજરીવાલની નકલી મામલામાં ધરપકડ કરાવી. CBIએ બુધવારે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ઐપચારિક રીતે ધરપકડ કરી અને ભષ્ટ્રાચાર મામલામાં આપના રાષ્ટ્રીય સંયોજકની પાંચ દિવસની કસ્ટડી માંગી.
સુનીતા કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું કે તેમના પતિને લીકર પોલીસી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં 20 જૂને જામીન મળી ગયા હતા અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે તાત્કાલિક તેની પર સ્ટે લીધો. તેમણે કહ્યું કે બીજા જ દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવી દીધા અને તેમની ધરપકડ કરી લીધી. સમગ્ર તંત્ર એ જ કોશિશમાં છે કે કેજરીવાલ જેલમાંથી બહાર ન નીકળી શકે, આ તાનાશાહી અને ઈમરજન્સી જ છે.
આમ આદમી પાર્ટીએ પણ કેજરીવાલની ધરપકડની નીંદા કરી અને કહ્યું કે તાનાશાહીએ ક્રૂરતાની તમામ હદને વટાવી દીધી છે. આજે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળવાની સંપૂર્ણ શક્યતા હતી, તો ભાજપે ગભરાઈને કેજરીવાલને નકલી મામલામાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાવ્યા. સીબીઆઈ કેજરીવાલને રાઉજ એવન્યુ કોર્ટ લઈ ગઈ, જ્યાં તેમનું બ્લડ સુગર લેવલ ખૂબ જ ઘટી ગયું હતું. તાનાશાહ, તમે ગમે તેટલું જુલમ કરી લો, કેજરીવાલ ઝુંકશે પણ નહીં અને તૂટશે પણ નહી.